અમદાવાદ : ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષને નેતા પરેશ ધાનાણી અને પુર્વ મંત્રી વિરજી ઠુમ્મર સહિત 11 કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરી કોર્ટ સામે રજુ કરવા અમરેલી કોર્ટે આદેશ આપ્યો છે. આ ઘટના બાદ નારાજ થયેલા અમરેલીના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ઘાનાણીએ પત્રકારોને પ્રત્યાધાત આપતા જણાવ્યુ હતું કે ભાજપની સરકાર અંગ્રેજો કરતા પણ ગઈગુજરી છે, અંગ્રેજોના શાસનમાં પણ આ પ્રકારના કેસ થતાં ન્હોતા.
પરેશ ઘાનાણી સામે અમરેલીમાં આચારસંહિતા ભંગ અને જાહેરનામા ભંગની કુલ 14 ફરિયાદ નોંધાયેલી છે, જેમાં એક ફરિયાદ ચુંટણી વખતે અમરેલીમાં પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પોલીસ મંજુરી વગર પ્રદર્શન કરવાનો ગુનો નોંધ્યો હતો, પણ આશ્ચર્ય તે બાબતનું છે કે આ મામલે ઘાનાણી અને તેમના સાથીઓને એક પણ સમન્સ મળ્યુ નથી. તેમ છતાં તેમનું એરેસ્ટ વોરંટ નિકળ્યુ છે. આ અગાઉ આ પ્રકારે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયાનું પણ અમદાવાદ અને રાજસ્થાનના ગંગાપુર કોર્ટના વોરંટ નિકળ્યા હતા.
પરેશ ઘાનાણી પત્રકારો સામે નારાજગી વ્યકત કરતા જણાવ્યુ હતું ભાજપ સરકાર મારી ઉપર એક હજાર કેસ કરશે તો પણ હું ગરીબ અને ખેડુતોના મુદ્દે લડતો રહીશ.